બુધવાર, 16 ફેબ્રુઆરી, 2011

ધ્યાન ધર હરિતણું

ધ્યાન ધર હરિતણું, અલ્પમતિ આળસુ, જે થકી જન્મનાં દુઃખ જાયે; અવળ ધંધો કરે, અરથ કાંઈ નવસરે, માયા દેખાડીને મૃત્યુ વહાયે. સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં, શરણ આવે સુખ પાર ન્હોયે; અવળ વેપાર તું, મેલ મિથ્યા કરી, કૃષ્ણનું નામ તું રાખ મોંએ. પટક માયા પરી, અટક ચરણે હરિ, વટક મા વાત સુણતાં જ સાચી; આશનું ભવન આકાશ સુધી રચ્યું, મૂઢ એ મૂળથી ભીંત કાચી. અંગ-જોબન ગયું, પલિત પિંજર થયું, તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું; ચેત રે ચેત, દિન ચાર છે લાભના, લીંબુ લહેકાવતાં રાજ લેવું. સરસ ગુણ હરિતણા, જે જનો અનુસર્યા, તે તણા સુજશ તો જગત બોલે; નરસૈંયા રંકને, પ્રીત પ્રભુ-શું ઘણી, અવર વેપાર નહીં ભજન તોલે. - નરસિંહ મહેતા